Happy Birthday Bhavnagar
![]() |
ભાવનગર |
આજે ગુજરાતના ભાવનગરે 298માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
ભાવનગરની સ્થાપના ભાવસિંહજી રતનસિંહજી ગોહિલે કરી હતી. ગોહિલો મારવાડના ખેરગઢથી ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા અને બાદમાં ઉમરાળા, ઘોઘાના પીરમબેટ અને ફરિ ઉમરાળા આવી સિહોર થઈને વડવા ગામ આવ્યા હતા અને ત્યાં ભાવનગરની સ્થાપના કરી હતી.
સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડ થી ઇ.સ. 1260મા ગુજરાતની હદમાં પ્રવેશ્યા. તેમને સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી.
1722- 1723માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડ આગેવાની હેઠળના દળોએ ગોહીલોની તે સમયની રાજધાની (સિહોર) પર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ મહારાજા ભાવસિંહજી ગોહિલે તેમને ભગાડ્યા. યુદ્ધ પછી ભાવસિંહજીને લાગ્યું કે વારંવાર હુમલો કરવાનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને 1723માં સિહોરથી 30 કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત 1779ની વૈશાખ સુદ 3-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું.
ભાવસિંહજીના પૌત્ર વખાતસિંહજી ગોહિલે આ વિસ્તારનો વધુ વિસ્તાર કર્યો હતો.કોલિસ અને કાઠીઓએ, નવાબ સાહેબ અહમદ ખાન પાસેથી રાજુલા મેળવ્યો, અને ઘોઘા તાલુકાનું રાજ્યમાં વિલય કર્યું.
1793 માં વઘાતસિંહજીએ ચિતલ અને તળાજાના કિલ્લાઓ જીતી લીધા, અને બાદમાં મહુવા, કુંડલા, ત્રપાજ, ઉમરાળા અને બોટાદ પર વિજય મેળવ્યો. ભાવનગર રાજ્યનો મુખ્ય બંદર રહ્યો, મહુવા અને ઘોઘા પણ મહત્વપૂર્ણ બંદરો બન્યા. દરિયાઇ વેપારને કારણે, રાજ્ય અન્ય રાજ્યોની તુલનામાં સમૃદ્ધ બન્યું.
જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ.
ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલો છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભારતના ગણતંત્રમાં ભળ્યું તે પહેલા સુધી આ એક રજવાડુ હતું.
હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાબા, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીબા છે.
✒️લી. નિલેશસિંહ સોલંકી
0 Comments